Cumin Seeds

જીરૂ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

જમીન અને આબોહવા:

જીરૂ જુદા જુદા પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ સારા નિતારવાળી રેતાળ, ગોરડુ થી મધ્યમકાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન વધારે માફક આવે છે. આ પાકને ઠંડુ, સૂકુ અને સ્વચ્છ હવામાન વધારે માફક આવે છે. વાદળછાયું અને ભેજવાળું હવામાન (પાકમાં ચરમી (કાળિયો) અને ભૂકીછારાના ઉપદ્રવ માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે.

જમીનનીતૈયારી:

જીરૂના પાકની સફળતાપૂર્વક ખેતી માટે ખેતરની આજુબાજુ ઘઉં, દિવેલા, રાયડો, રજકો જેવા વધારે પાણીની જરુરિયાતવાળા પાક ન હોય તેવું ખેતર પસંદ કરવું જોઈએ. અનુભવે જાણવા મળેલ છે કે, જીરૂના પાકમાં કાળીયાની શરૂઆત મુખ્યત્વે રાયડાવાળા ખેતરની બાજુએથી થાય છે. તેથી જીરૂ અને રાયડાનું વાવેતર એકબીજાની નજીકમાં કરવું હિતાવહ નથી. તેમ જ અગાઉના વર્ષ દરમ્યાન જીરૂનો પાક લીધેલ ન હોય તેવા ખેતરની પસંદગી કરવી. હળથી ઊંડી ખેડ કરી ૨ થી ૩ વાર કરબની ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવી સમાર મારી સમતળ કરવી. જમીનના ઢોળાવ પ્રમાણે ક્યારા સાંકડા અને નાના એટલે કે ૬ મીટર x ૨ મીટરના માપના બનાવવાથી ઉત્પાદન,નફો તથા પિયતની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

જાતોની પસંદગી:

જીરૂના પાકના વાવેતર માટે નીચે મુજબની જાતોની પસંદગી કરવી.
Responsive Gujarati Table
અ.નં. જાતનું નામ બહાર પાડ્યા વર્ષ વિશિષ્ટ ગુણધર્મો
ગુજરાત જીરૂ -૨ ૧૯૯૨ દાણાની ગુણવત્તા સારી
ગુજરાત જીરૂ -૩ ૧૯૯૯ સૂકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
ગુજરાત જીરૂ -૪ ૨૦૦૩ ગુ.જીરૂ-૨ અને ગુ.જીરૂ-૩ કરતાં ચડિયાતી, સૂકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે. દાણારાખોડી રંગના સારી ગુણવત્તા વાળા દાણા, ૧૧૦ દિવસે પાકે, સરેરાશ ઉત્પાદન ૧૦૫૩ કિ.ગ્રા./હેકટર.
ગુજરાત જીરૂ -૫ ૨૦૧૯ વહેલી પાકતી જાત (૯૨ દિવસે પાકે), સૂકારા સામે પ્રતિકારકતા ધરાવે, ચરમી રોગનું પ્રમાણ ઓછું, વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ વધુ ઉત્પાદનક્ષમતા ધરાવે.

વાવણીનો સમય:

જીરૂનું વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જયારે મહત્તમ ઉષ્ણતામાન ૩૦° સે. હોય ત્યારે કરવું. મોડી વાવણી કરવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધે છે,એટલું જ નહિ પરંતુ પાકને વિકાસ માટે પૂરતો સમય ન મળતાં અને પાક ટૂંકાગાળામાં પરિપકવ થવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકિય વિસ્તારમાં જીરૂનું વાવેતર ઓક્ટોબરના બીજા પખવાડીયામાં કરવાથી ભૂકીછારાનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને વધુ ઉત્પાદન મળે છે.

બિયારણનો દર:

જમીનની પ્રત અને ક્ષારના પ્રમાણના આધારે હેકટર દીઠ ૧૨ કિ.ગ્રા. થી ૧૬ કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે.

બીજમાવજત:

જમીન અને બીજ જન્ય રોગના નિયંત્રણ માટે તથા સારા ઉગાવા માટે ભલામણ મુજબની દવાનો પટ આપવો.

વાવેતરઅંતર:

સામાન્ય રીતે જીરૂની વાવણી પૂંખીને કરવામાં આવે છે. પરંતુ ૩૦ સે.મી.ના અંતરે વાવણી કરવાથી બિયારણનો દર અને રોગનું પ્રમાણ ઘટાડી શકાય તથા નીંદણ નિયંત્રણમાં પણ વધારે અનુકૂળતા રહે છે. જીરૂના પાક માટે વાવણીની ઊંડાઈ ૧.૫ સે.મી. થી ૨.૦ સે.મી. રાખવી. ભાલ વિસ્તારમાં જીરૂનું વાવેતર કરતા ખેડૂતોને જીરૂનું વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે પહોળા ગાદી ક્યારા (બેડ) (૯૦ સે.મી.) અને નીક (૩૦ સે.મી.) પદ્ધતિ અપનાવી હેકટરે ૨૦ કિલોગ્રામ બિયારણનો દર રાખી પાળા ઉપર પૂંખવાની ભલામણ કરવામાં આવે છે.

ખાતર વ્યવસ્થાપન:

જીરૂ એ ટૂંકાગાળાનો તથા છીછરા મૂળવાળો પાક હોવાથી દર વર્ષે છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. પરંતુ વધારે રેતાળ કે ઓછી ફળદ્રુપ જમીનમાં જીરૂનો પાક લેવાનો હોય તો હેકટર દીઠ ૧૦ થી ૧૨ ટ્રેકટર ટ્રોલી સારૂ કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરવાના સમયે આપી જમીનમાં ભેળવી દેવું. જો અગાઉના ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો જીરૂના પાકમાં આપવાની જરૂર નથી. જીરૂના પાકમાં હેક્ટરે ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જે પૈકી ૧૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે અને બાકીનો ૧૫ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે પાક ૩૦ દિવસનો થાય ત્યારે નીંદામણ કર્યા બાદ હારમાં છોડથી દૂર આપવો. પૂર્તિ ખાતર પિયત આપ્યા બાદ જમીનમાં પગ ટકે તેવા ભેજે સાંજના સમયે આપવું જોઈએ.

પિયત વ્યવસ્થાપન:

જીરૂના પાકમાં પિયત એ ખૂબ જ જોખમી પરિબળ છે. જીરુમાં જરૂરીયાત મુજબ પિયતની વ્યવસ્થા કરવી.

આંતરખેડ અને નિંદામણ:

જીરૂની વાવણી ૩૦ સે.મી.ના અંતરે ચાસમાં કરેલી હોય તો પૂર્તિ ખાતર આપ્યા પછી આંતરખેડ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. જીરૂના પાકનો વૃદ્ધિદર ઓછો હોવાથી નીંદણ સામે હરીફાઈમાં ટકી શકતો નથી. જેથી નીંદણને કારણે કેટલીક વાર પાક નિષ્ફળ પણ જાય છે. જીરૂના પાકને ૪૫ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો ખાસ જરૂરી છે. આ માટે પ્રથમ હાથ નીંદામણ વાવણી બાદ ૨૫-૩૦ દિવસે અને બીજુ નીંદામણ જરૂરિયાત મુજબ ૪૦ દિવસે કરવું. પરંતુ, જ્યાં મજૂરોની અછત હોય અને મજૂરીના દર ઊંચા હોય ત્યાં નીંદણનાશક દવાનો ભલામણ મુજબ ઉપયોગ કરવો જોઈએ.

પાક સંરક્ષણ :

જીરુમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

ક્રમ રોગનું નામ નિયંત્રણ
ચરમી / કાળીયો / ચારેરી ખેતરની તેમજ પાકની ફેરબદલી કરવી, વાવણી પહેલાં બીજને ફૂગનાશક દવાનો ભલામણ પ્રમાણે પટ આપવો. પાકની ૨૫મી ઓક્ટોબર થી ૧૦મી નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થતાં હારમાં (૩૦ સે.મી. અંતર) વાવણી કરવી અને ક્યારા નાના રાખી હલકું પિયત આપવું. ક્યારામાં પાછળના ભાગે પાણી ભરાઈ રહે નહીં તેની કાળજી રાખવી. છાંણિયા ખાતર અને ખોળનો ઉપયોગ કરવો. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ટાળવો. શરૂઆતમાં જોવા મળતા રોગીષ્ઠ છોડ કાળજી પૂર્વક ઉપાડી તેનો નાશ કરવો. આવા રોગીષ્ઠ છોડ શેઢે પાળે નાખી ન રાખવા, નહીંતર તેમાં પણ રોગકારક ફૂગની વૃદ્ધિ થશે. રાઈ, ઘઉં, રજકો જેવા પિયત પાકોની બાજુમાં જીરૂનું વાવેતર ટાળવું અથવા યોગ્ય અંતર રાખવું. વાદળવાળા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત ટાળવું અને કચરો સળગાવી ધૂમાડો કરવો. રોગ આવવાની રાહ જોયા સિવાય ભલામણ મુજબ રાસાયણિક દવાનો છંટકાવ કરવો.
સુકારો સૂકારા સામે રોગપ્રતિકારક જાત ગુ.જીરૂ-૪ નું વાવેતર કરવું. ઉનાળામાં ઊંડી ખેડ કરવી. વાવણી પહેલાં બીજને ફૂગનાશક દવાનો ભલામણ મુજબ પટ આપવો. તેમજ ભલામણ મુજબ રાસાયણિક દવાનો છંટકાવ કરવો.
ભૂકી છારો ખેતરની આજુબાજુ મોટી જાડી વાડ તથા ખેતરમાંના ઝાડની છટણી કરવી. ભૂકી છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ જરૂર મુજબ કરવો. જીરાના પાકને ભૂકી છારાના રોગથી બચાવવા માટે જરૂરિયાત મુજબ ભલામણ કરેલ રાસાયણિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્રથમ છંટકાવ રોગની શરૂઆત સમયે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

જીરુમાંઆવતી જીવાત અને તેનું નિયંત્રણ

ક્રમ જીવાતનું નામ નિયંત્રણ
મોલોમશી, થ્રીપ્સ અને લાલ કથીરી જીરૂના પાકની સમયસર વાવણી કરવી. નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. સેન્દ્રિય ખાતરો જેવા કે લીમડાનો ખોળ અને દિવેલીનો ખોળ વાપરવાથી ચૂસીયાં પ્રકારની જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય. મોલો-મશી જેવી ચૂસીયાં જીવાતો માટે હેક્ટર દીઠ ૧૦ પીળાં ચીકણાં પિંજર ગોઠવવા. લેકાનીસીલીયમ લેકાની અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ભલામણ મુજબ ઉપયોગ કરવો. મોલોમશી અને થ્રિપ્સના અસરકારક નિયંત્રણ માટે ભલામણ મુજબ રાસાયણિક દવાનો છંટકાવ કરવો. સર્વે દરમ્યાન આ જીવાતોનો ઉપદ્રવ જણાય તો લીમડાની મીંજનો અર્ક અથવા લીમડાનું તેલ, અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશકનો ભલામણ મુજબ છંટકાવ કરવો.

કાપણી:

જીરૂનો પાક ૧૦૫ થી ૧૧૦ દિવસે પરિપકવ થઈ જાય છે. જીરૂની કાપણી વાનસ્પતિક દેહધાર્મિક અવસ્થાએ (૫૦ ટકાથી વધુ ચક્રો પીળાશ પડતા ભૂખરા અને દાણા ભૂખરા રંગના થાય ત્યારે) કરવી. આ અવસ્થાએ કાપણી કરવાથી મોડી કાપણીની સરખામણીએ દાણા અને ઉડ્ડયનશીલ તેલનું વધુ ઉત્પાદન મળે છે, તેમજ કાપણી વખતે દાણા ખરી પડતા અટકાવી શકાય છે. દાણા ખરી ન જાય તે માટે ઝાકળ ઉડી જાય તે પહેલાં અથવા સવારના અગિયાર વાગ્યા સુધી કાપણી કરવી. કાપણી કરેલ છોડ એકત્ર – કરી સ્વચ્છ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ સુધી લાકડીની મદદથી જૂડી અથવા થ્રેસરથી દાણા છુટા પાડી ઉપણી સાફ કરવા.

સંગ્રહ:

ચારણા અથવા ગ્રેડીંગ મશીનની મદદથી મોટા દાણા, નાના દાણા, કચરો, નીંદણના બીજ તેમજ હલકા દાણા છૂટા પાડવા. દાણામાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા થી વધારે ન રહે તે મુજબ દાણા સૂકવ્યા બાદ ગુણવત્તા પ્રમાણે સ્વચ્છ પોલિથિલિન કે શણના કોથળામાં પેકિંગ કરી ભેજ,ઉંદર અને જીવાત રહિત વખારમાં સંગ્રહ કરવો.

ઉત્પાદન:

જીરૂનું એવરેજ ઉત્પાદન ૯૦૦ થી ૧૦૦૦ કિલો/હેકટર મળે છે.

તમારા ખેતર માટે વધુ બીજો જુઓ

Inquiry from


    This will close in 20 seconds